Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Deepavali Rangoli on Shree Ram Mandir – SGVP 2023

SGVP ગુરુકુલના પ્રાંગણમાં દીવડાઓના ઝળહળાટથી ઝળહળી

રામમંદિરની પ્રતિકૃતિ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ ખાતે ભવ્ય દિપાવલી મહોત્સવ ઉજવાયો. દિવાળીના શુભ દિવસે ગુરુકુલના પ્રાંગણમાં સંતો અને સ્વયંસેવકોએ મળી ભવ્ય રામમંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. જેનો શણગાર દીવડાઓથી કરવામાં આવ્યો હતો.

ત્રણ હજારથી વધારે દીવડાઓ જ્યારે જળહળ્યા ત્યારે એક મનોહર દૃશ્ય સર્જાયું હતું. સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા સંતો-ભક્તોએ ભગવાન રામ-શ્યામ-ઘનશ્યામ મહારાજની આરતી કરી હતી.

આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએ શુભસંદેશ પાઠવતા જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિ અનુપમ, અનોખી અને બેજોડ છે.

દિપાવલીનું પર્વ પ્રકાશનું પર્વ છે. ભગવાન શ્રીસીતારામજીના સ્વાગતમાં હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. આ દીવડાઓ વિશ્વને પ્રકાશથી ભરી દેશે. આ પ્રકાશ ભારતના ઋષિઓના જ્ઞાનની જ્યોત છે.

ભારત પ્રકાશની પૂજા કરે છે. પ્રકાશ જ્ઞાન છે, અંધકાર અજ્ઞાન છે.

ભારત શબ્દમાં ભા-નો અર્થ ‘પ્રકાશ’ થાય. જે દેશની પ્રજા પ્રકાશમાં, જ્ઞાનમાં, વિદ્યામાં રત રહે છે તે ભારત છે.

આપણા પૂર્વજોએ ધન કરતા જ્ઞાનને વધારે મહત્વ આપ્યું છે. જે જ્ઞાની હોય છે એ સમૃદ્ધ હોય છે. પરંતુ ભારતીય જ્ઞાન કેવળ બહારની સમૃદ્ધિ નથી આપતું, ભીતરની સમૃદ્ધિ પણ આપે છે.

આવા મંગલ સંદેશ લઈને આવેલી દિવાળી આપણા હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ કરે.

ભગવાન શ્રીરામના અયોધ્યા આગમન સમયે હજારો દીવડાઓ પ્રગટ્યા હતા. એ દીવડાઓ આપણા હૃદયમાં પ્રગટે.

આજે ખરેખર ભારત રામરાજ્ય તરફ જઈ રહ્યું છે. આશરે પાંચસો વર્ષના અંધકાર પછી અયોધ્યા ચોવીસ લાખ દીવડાઓથી ઝળહળી રહી છે. મોદીજી, યોગીજી અને સુપ્રિમ કોર્ટની બેન્ચને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.

નૂતન વર્ષ આપણા સૌ માટે નવો ઉત્સાહ લઈને આવે. આપણામાં નવી ઉર્જા પ્રદાન કરે. જેથી આપણે આપણા જીવનની શ્રેષ્ઠ સિદ્ધીઓ પ્રાપ્ત કરીએ.

દિપાવલી અને નૂતન વર્ષના સર્વને હાર્દિક અભિનંદન.

02030104

Achieved

Category

Tags