શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી (બાગેશ્વર ધામ) શ્રી સ્વામિનારાયણ મંદિર (કંપાલા) દર્શને પધાર્યા
વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વર ધામ નિવાસી બાબા શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી, કંપાલામાં શ્રી સનાતન ધર્મ મંડળ સોમનાથ મંદિરના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા આવ્યા છે. આ અવસરે તેઓ કંપાલામાં એસ.કે.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરનાં દર્શને પધાર્યા હતા. આ પ્રસંગે SGVP ના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા મંદિરના વડા શ્રી મનીષ શિયાણી, કચ્છી પટેલ સમાજના વડા જીતેશ વાઘજીયાણી અને મંદિર બોર્ડના સભ્યોએ બાબાજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
પૂજ્ય સ્વામીજીએ ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જણાવ્યું હતું કે, સનાતન સોમનાથ મંદિર અને શ્રી સ્વામિનારાયણ મંદિર જેવા ધાર્મિક સ્થળોના પ્રભાવને કારણે યુગાન્ડામાં એક નાના ભારતનું નિર્માણ થયું છે. સનાતન મંદિરના વડા પરેશ મહેતા ગુરુકુળના વિદ્યાર્થી છે.
આ શ્રી સ્વામિનારાયણ મંદિર ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂળ સંપ્રદાયનું છે. આ ભવ્ય મંદિર ટોરોરો સિમેન્ટના ચેરમેન શ્રી હસમુખભાઈ ભૂડિયા અને કચ્છી ભક્તોના સમર્પણથી બનાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સનાતન વૈદિક ધર્મના પોષક અને પ્રચારક હતા.
બાબાજીએ શ્રી સનાતન હિન્દુ ધર્મની વિશેષતા સમજાવતા કહ્યું કે, ઇસ્કોન અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય જેવા ધાર્મિક સંગઠનો સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે અને તે ખૂબ જ પ્રશંસનીય છે. અમને એ જાણીને આનંદ થયો કે અહીં શ્રી સ્વામિનારાયણ મંદિર અને સનાતન મંદિર બંને સાથે મળીને ધાર્મિક કર્યો કરે છે. પૂજ્ય સ્વામીજીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
પૂજ્ય સ્વામીજીએ પણ સંત મંડળ સાથે શ્રી સનાતન ધર્મ મંડળ સોમનાથ મંદિરે બાબા શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીનું અભિવાદન કર્યું હતું.



