ઉજ્જૈન ખાતે શ્રી મહાકાલેશ્વર ભગવાનના સાનિધ્યમાં અને પવિત્ર ક્ષિપ્રા નદીના કિનારે આયોજીત સિંહસ્થ મહાકુંભની પૂર્ણાહૂતિની પૂર્વ સંધ્યાએ ઉદાસીન જુના અખાડાના પીઠાધિશ્વર અવધેશાનંદજી મહારાજની અધ્યક્ષ સ્થાને વિરાટ હિન્દુ સંત સંમેલન યોજાયુ હતું.
આ પ્રસંગે ભારતવર્ષના મહાન સંતોમાં શ્રી કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજ, બાબા રામદેવજી મહારાજ, પરમાર્થ નિકેતનના અધ્યક્ષ શ્રી ચિદાનંદ સરસ્વતીજી (મુનિજી મહારાજ), ભારત મંદિર હરિદ્વારાના સત્યમિત્રાનંદજી મહારાજ, તેમજ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી વગેરે મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ પોતાના મંગળ પ્રવચનમાં જણાવ્યું હતું કે, કુંભ એ અમૃતનો કુંભ છે. આજનો પૂર્ણિમાનો ચંદ્રમા આકાશમાંથી અમૃત વરસાવી રહ્યો છે. એ રીતે સંતો સંસ્કાર સભર જીવનનું અમૃત આપે છે. જેને પરિણામે સમાજ સમસ્ત સૃષ્ટિઅને પર્યાવરણ પ્રત્યે પ્રેમ કરતા શીખે છે.
અહીં લાખો ભાવિકોના દર્શન થઇ રહ્યા છે. આવનાર સર્વે ભાવિકો અગવડતા સગવડતા જોયા વિના મહાનકુંભના દર્શન કરી રહ્યા છે, તે ખરેખર તમારી આસ્થાને વંદન છે. આ આસ્થાની જયોતોની રક્ષા કરવી એ સંતોનું કર્તવ્ય છે. આપણા વાણી અને વર્તનથી આ આસ્થાને ઠેસ પહોંચવી ન જોઇએ.
આ પ્રસંગે મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે વિશાળ મેદનીને જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશને આંગણે ભારતભરમાંથી હજારો સંતો ભક્તો અહીં મહાકુંભના દર્શને પધાર્યા છે તે જોઇ મને અત્યંત આનંદ અને ગૌરવની લાગણી થાય છે.
આ પ્રસંગે વિશાળ સંતગણે અને લાખો દર્શનાર્થી ભાવિકોએ કુંભમેળામાં સરકારે જે અદભૂત આયોજન કરેલ છે તેને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધેલ.
વૃંદાવન મંદિરના મહાન સંત શ્રી ગુરુશરણાનંદજી મહારાજ દ્વારા ચાલતા ગીતા જ્ઞાનયજ્ઞમાં પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે આપણે અર્જુન બનીશું અને જીવનના રથની લગામ ભગવાન શ્રી કૃષ્ણને સોંપી દઇશુ તો આપણી તમામ બાજી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સંભાળી લેશે.



