Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

શરદપૂર્ણિમા મહોત્સવ, 2013

શરદપૂર્ણિમા મહોત્સવ 

શિશિરની સુંદરતા, પાનખરની શુષ્કતા, વસંતનો વૈભવ, ગ્રીષ્મની ઉષ્ણતા અને વર્ષા ઋતુ દ્વારા વરસેલા પરમાત્માના વહાલને મેળવ્યા બાદ શરદઋતુનો અલૌકિક અને સૌખ્યકર આનંદ સમગ્ર સૃષ્ટિને નવલ્લવિત કરે છે. સૌખ્યકર શરદઋતુની સુંદરતામાં પણ વિશેષ અલૌકિક આનંદની અનુભૂતિ કરાવનારી રાત એટલે શરદપૂર્ણિમાની રઢિયાળી રાત.
શરદપૂર્ણિમાએ ભગવાન શ્રી કૃષ્ણે યમુનાજીના કાંઠે મહારાસની રચના કરી હતી. શાંત અને પવિત્ર વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે બંસીનાદ કર્યો ત્યારે વૃંદાવન ખરેખર ઘેલું થયું હતું. શરદપૂર્ણિમાની રાસ લીલા એ ‘મદનમાનભંગ લીલા’ છે.

વળી શરદપૂર્ણિમાએ ભગવાન શ્રી સ્વામિનારાયણ પાંચસો પરમહંસો સાથે પંચાળામાં જેટલા સંતો હતા તેટલા રુપ ધારણ કરી અલૌકિક રાસ લઇ સૌ કોઇને રસમાં તરબોળ કર્યા હતા. વળી આજ દિવસે અક્ષરમુક્ત શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ દિવસ છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ છારોડી એસજીવીપી ખાતે તા. ૧૮ ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં, ગુરુકુલના પરિવારના હજારો ભાવિકોની વચ્ચે ભવ્ય શરદોત્સવ ઉજવાયો હતો.

સવારે શ્રી ઘનશ્યામ મહારાજના વાર્ષિક પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે ૧૦૮ ઔષધિઓ, ફળોના રસ, પંચામૃત, કેસર જળ, તીર્થ જળ, પુષ્પ પાંખડીઓ થી અભિષેક કરી ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

સાંજે કાર્યક્રમની શરુઆતમાં ગુરુકુલ મેમનગરના વિદ્યાર્થીઓ તેમજ દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય અને  એસજીવીપીના વિદ્યાર્થીઓએ સમૂહ રાસ તેમજ મેમનગરના વિદ્યાર્થીઓએ મણિયારા રાસની રમઝટ સાથે વિવિધ રાસ રજુ કરી ઉપસ્થિત ભક્તોને રસ તરબોળ કર્યા હતાં.

પુરાણી શ્રી હરિદાસજી સ્વામીએ જણાવેલ કે આજે જુનાગઢના જોગી એવા ગુણાતીતાનંદ સ્વામીનો પણ જન્મ દિવસ છે. તેઓશ્રીએ ચાલીસ વર્ષ જુનાગઢ મંદિરના મહંતપદે રહી સારાયે સત્સંગ સમાજને ભકિતથી તરબોળ કરેલ છે. 

આ પ્રસંગે સંપ્રદાયના મૂર્ધન્ય વકતા પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીએ જણાવેલ કે શરદપૂર્ણિમા અને ભગવાનની રાસ લીલા એ પર્યાય શબ્દ છે. આપણી સંસ્કૃતિ સંસ્કાર સભર છે. જેમાં સંસ્કારોનું સંવર્ધન થાય તેને સંસ્કૃતિ કહેવાય છે. રાસમાં ભકિત અને અધ્યાત્મ જોડાયેલ છે. જેવી રીતે આકાશમાં સોળે કળાએ ઝળહળી રહેલો ચંદ્રનો પ્રકાશ સમગ્ર સૃષ્ટિને પ્રકાશી રહ્યો છે તે રીતે દરેક માનવના અંતરમાં ભગવાનની મૂર્તિ અખંડ પ્રકાશી રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના.

આ પ્રસંગે ‘ભજ ગોવિન્દમ્ ભાગ-૨, જીવન સંગીત અને સહસ્ર સૂપદ્યાવલી  – ત્રણ નૂતન પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિશ્વ વિખ્યાત જૂનિયરકે લાલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આ ગુરુકુલ તો મારું ઘર છે. આવા દિવ્ય પ્રસંગમાં આવવાનું થયું મારા મોટા ભાગ્ય છે. તેઓએ સભામાં જાદુના ખેલ બતાવતા જણાવ્યું હતું કે આપની સામે કરેલા પ્રયોગો ખાસ હાથચાલાકી છે આમાં કોઇ જાદુ નથી. એટલે આપણે કોઇ અંધશ્રદ્ધામાં ફસાવું નહી.

આ પ્રસંગે અમેરિકા સત્સંગ પ્રવાસે પધારેલ પૂ.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ ટેલિફોનિક માધ્યમથી આશીર્વાદ આપી શરદપૂર્ણિમાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે આપણા ભારતીય હિન્દુ તહેવારોના મૂળ ભગવાન નારાયણ સાથે જોડાયેલ છે. તેને ક્યારેય કાળ પણ ખાઇ શકતો નથી.

પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શરદપૂર્ણિમાની નવલી રાતે શરદપૂર્ણિમાના ઉત્સવ પ્રસંગે જણાવેલ કે શરદપૂર્ણિમાના પર્વેથી ભગવાન શ્રી કૃષ્ણે વ્રજસુંદરીઓને અમર બનાવી દીધી છે. 
આ પ્રસંગે મુંબઇથી નવિનભાઇ દવે, કાંતિભાઇ ગાંધી, જુનિયર કે.લાલ, જજશ્રી ઢોલરિયા સાહેબ, સાંસદ શ્રી જયંતિભાઇ બારોટ, નરહરિભાઇ કોયા, ભાગ્યેશભાઇ ઝા કલેક્ટરશ્રી, દિનકરભાઇ જોષી સાહિત્યકાર, વી. એસ. ગઢવી સાહેબ, ધનજીભાઇ ઝાલાવાડીયા, ત્રિકમભાઇ ઝાલાવાડીયા, ભૂપેન્દ્રભાઇ પટેલ ચેરમેન, ગુણવંતભાઇ સોજીત્રા, સુધીરભાઇ પટેલ, નનુભાઇ પડશાળા, કાંતિભાઇ રામ, પરશોત્તમભાઇ બોડા, વગેરે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
Picture Gallery
 

 

Achieved

Category

Tags