Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

મૂર્તિ પ્રતિષ્ઠા – સહજાનંદ ધામ, રાજકોટ, 2013

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી મવડી પાસેના પટેલનગરમાં ગુરુકુલ પરિવારના ભાવિક ભકતોના આગ્રહથી સહજાનંદ ધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ સ્થાપન કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મૂર્તિ સ્થાપનની પૂર્વ સંધ્યાએ ભકિત મહિલા મંડળના બહેનો દ્વારા ૧૨ કલાકની અખંડ ધૂન કરવામાં આવી હતી.
મૂર્તિ સ્થાપનની વહેલી સવારે વરસતા વરસાદમાં પણ શાસ્ત્રી કિશોરભાઇ દવે દ્વારા ઠાકોરજીનો ષોડશોપચાર પૂજન અને સમૂહ મહાપૂજાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ જેમા ૨૫૦ ઉપરાંત ભાઇઓ અને બહેનો જોડાયા હતા. શાસ્ત્રોક્ત વૈદિક વિધિ પ્રમાણે મૂર્તિ સ્થાપન કર્યા બાદ સ્થાનિક બહેનો દ્વારા લાવવામાં આવેલ જુદી જુદી મીઠાઇઓનો ઠાકોરજીને અન્નકુટ ધરાવવામાં આવેલ. ત્યારબાદ સૌ કોઇ ભગવાનની મહા આરતિમાં જોડાયા હતા.
આ પ્રસંગે પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ પોતાની ભાવવાહી શૈલીમાં જણાવ્યું હતું કે ભગવાનની કૃપાથી આપ સર્વે હરિભકતોની સેવાથી પટેલનગર પરિસરમાં સહજાનંદ ધામમાં મૂર્તિ સ્થાપન થતા ખૂબ જ આનંદ થાય છે. આપ જે મવડી વિસ્તારમાં રહેતા હો તે દરરોજ અહીં ભગવાનના દર્શન કરવા આવજો. જેનાથી આપના બાળકોમાં પણ સંસ્કાર જળવાઇ રહેશે.આ પ્રસંગે પૂ.પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી એ જણાવેલ કે ઘણા સમયની હરિભકતોની માગણી આજે પૂરી થાય છે. મંદિરો તો આપણાં આસ્થાના કેન્દ્રો છે, જ્યાં સંસ્કારની સરવાણી સતત વહેતી રહે છે. આ સહજાનંદ ધામ સંસ્કાર, સદ્ધર્મ અને સદાચાર પ્રવર્તનનું કેન્દ્ર બની રહેશે. વળી કુદરતી આપત્તિ સમયે પણ આ કેન્દ્ર સમાજની અનેકવિધ સેવા કરતું રહેશે.આપણાં ગુરુદેવ શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂ.જોગી સ્વામીએ સમાજ અને સત્સંગ માટે જે સેવાની કેડી કંડારી છે તે વારસાને આપણે તન, મન અને ધનથી દિપાવીએ.
આ પ્રસંગે યુરોપમાં સત્સંગ વિચરણ કરતા પૂ. શા.માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ખરેખર આ પટેલનગરમાં ભગવાનની પ્રતિમાની જે સ્થાપના થઇ તેથી અત્યંત આનંદ થાય છે. આ પ્રતિમાની આપણાં અંતરમાં પણ પ્રતિષ્ઠા થાય એ અગત્યનું છે. અત્યારે વિશ્વનું વાતાવરણ દુષિત થઇ રહ્યું છે ત્યારે આવા મંદિર રુપી સંસ્કાર કેન્દ્રો આપણને અંતરમાં શાંતિ આપશે.આ પ્રસંગે હરિયાળા ગુરુકુલથી શા.ભકિતજીવનદાસજી સ્વામી, વિસનગરથી પુરાણી ધર્મપ્રકાશદાજી સ્વામી,પી.સી.સ્વામી, રાજકોટ મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી, ગુરુકુલ ટ્રસ્ટી શ્રી મધુભાઇ દોંગા, કોર્પોરેટર શ્રી રાજુભાઇ બોરીચા, લક્ષ્મણભાઇ આદ્રોજા વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.આ પ્રસંગે શીવલાલ ભંડેરી, પરશોત્તમભાઇ બોડા, હરિભાઇ વેકરીયા, ગીરીશભાઇ અકબરી, જગદીશભાઇમકવાણા, જયંતીભાઇ કાચા, પ્રવિણભાઇ બોઘાણી, ગોવિંદભાઇ રાખોલિયા, અશ્વિનભાઇ વઘાસિયા વગેરે મોટી સંખ્યામાં હરિભકત ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સભા સંચાલન લક્ષ્મણભાઇ આદ્રોજાએ કર્યું હતું.
 

Achieved

Category

Tags