મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, શ્રીહરિ સંસ્કાર કેન્દ્ર મવડી, રાજકોટ
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે રાજકોટના મવડી વિસ્તારમાં નૂતન શ્રીહરિ સંસ્કાર કેન્દ્ર નિર્માણ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી સત્સંગના રંગે રંગાયું છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ તથા સંતોએ અહીં ખૂબ પોષણ કર્યું છે.
પૂજ્ય શ્રીહરિદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં નિર્મિત આ સંસ્કાર કેન્દ્રમાં તા. ૧૭ થી ૨૧ એપ્રિલ, ૨૦૨૫ દરમ્યાન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની સાથે આયોજીત આ મહોત્સવમાં વૈદિક પ્રતિષ્ઠા યજ્ઞ, નગરયાત્રા, શ્રીહરિ ચરિત્રગાથા, મહામંત્ર ધૂન વગેરે વિવિધ આયોજનો સાથે શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી તથા શાસ્ત્રી શ્રી શ્રુતિવલ્લભદાસજી સ્વામીએ શ્રીહરિના ચરિત્રોનું રસપાન કરાવ્યું હતું. પ્રતિષ્ઠાયજ્ઞ પૂજ્ય રામપ્રિયજી, પંડિતો તથા ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ વૈદિક વિધિથી સંપન્ન થયો હતો. જેમાં પાંચ દિવસ સુધી શાસ્ત્ર વિધાનો અનુસાર વિવિધ ઉપચારો દ્વારા પ્રાણપૂર્તિ વિધિ કરવામાં આવી.
તા. ૨૧ એપ્રિલના રોજ, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અગ્રગણ્ય સંતો મહાનુભાવોની પાવન ઉપસ્થિતિમાં, વડતાલ પિઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે શ્રી ઘનશ્યામ મહારાજ, ભગવાન શ્રી રાધા કૃષ્ણદેવ, ભગવાન શ્રી સિતારામચંદ્રજી તથા શ્રી ગણપતીજી, શ્રી હનુમાનજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
પરમ પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા સૌને શ્રીહરિની આજ્ઞામાં રહી સત્સંગ અને ભક્તિમાં સવિશેષ દ્રઢ રહેવાની ભલામણ કરી હતી. આ પ્રસંગે પૂજ્ય મહારાજશ્રીએ જણાવ્યું હતું કે આજે સદ્ગુરુ શ્રીહરિદાસજી સ્વામીની સ્મૃતિમાં તૈયાર થયેલ આ સંસ્કાર કેન્દ્ર દ્વારા અનેક લોકોના જીવન સંસ્કારી બનશે. અહીં ભગવાન શ્રીરામ-શ્યામ-ઘનશ્યામ મહારાજ તથા શ્રીજી મહારાજ સ્થાપિત છએ મંદિરોમાં બિરાજમાન દેવોનાં દર્શન થઈ રહ્યા છે, જે અત્યંત આનંદની વાત છે. સંપ્રદાયની શુદ્ધ પ્રણાલીકા અહીં જળવાઈ રહી છે તે જોઈને હર્ષ થાય છે. શાસ્ત્રીજી મહારાજની પરંપરા સંતો દ્વારા જળવાઈ રહી છે, તેથી SGVP ગુરુકુલ પરિવાર ધન્ય છે.
પ્રાસંગિક ઉદ્બોધનમાં પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ આચાર્ય મહારાજશ્રીના ચરણોમાં વંદન કરી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે, આ સંસ્કાર કેન્દ્ર જેમના ખૂબ મોટા યોગદાનથી તૈયાર થયું છે એવા આદરણીય રતનબાના સમર્પણ અને ભક્તિની પ્રશંસા કરી તેમના પરિવારજનોનું સન્માન – અભિવાદન કરવામાં આવ્યું હતું.



