મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, મુંગાવાવડી
અખંડ ભગવત્પરાયણ પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની પાવન સ્મૃતિમાં, પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે રાજકોટ પાસેના ગામ મુંગાવાવડી ખાતે નૂતન હરિમંદિર તૈયાર થતાં તા. ૧૯ થી ૨૧ એપ્રિલ, ૨૦૨૫ દરમ્યાન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગામ જનોના સાથ-સહકાર સાથે શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે સાત કુંડી પ્રતિષ્ઠા યજ્ઞ, નગરયાત્રા, શ્રીહરિ ચરિત્રગાથા, મહામંત્ર ધૂન વગેરે વિવિધ આયોજનોમાં સૌ ઉપસ્થિત અને આમંત્રિત ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. પુરાણી શ્રી વિશ્વવિહારીદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી તથા શાસ્ત્રી શ્રી શ્રુતિવલ્લભદાસજી સ્વામીએ શ્રીહરિના ચરિત્રોનું રસપાન કરાવ્યું હતું.
તા. ૨૧ એપ્રિલના રોજ, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અગ્રગણ્ય સંતો મહાનુભાવોની પાવન ઉપસ્થિતિમાં, વડતાલ પિઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી ગણપતીજી, શ્રી હનુમાનજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
પરમ પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા સૌને શ્રીહરિની આજ્ઞામાં રહી સત્સંગ અને ભક્તિમાં સવિશેષ દ્રઢ રહેવાની ભલામણ કરી હતી.



