જળઝીલણી મહોત્સવ, ગુરુકુલ દ્રોણેશ્વર
આગામી સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપક્રમે, પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે તા. ૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ ભાદરવા સુદ ૧૧, ના રોજ એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર દ્વારા મંચ્છુન્દ્રી ગંગા કિનારે નાઘેર પ્રદેશના ગામોગામથી પધારેલા ભાવિક ભક્તજનોની ઉપસ્થિતિમાં ભવ્ય જળઝીલણી મહોત્સવ ઉજવાયો.
ઉત્સવો ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ છે. વર્ષ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક, તહેવારો ઉત્સવો ઉજવાય છે. જેમાં જળઝીલણી મહોત્સવ એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. વર્ષાઋતુમાં નદી સરોવરમાં આવેલા નવા નીરથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે.
છેલ્લા ૪૦ વર્ષ ઉપરાંતથી એસજીવીપી ગુરુકુલ પરિવાર દ્વારા પૂજ્ય સદ્ગુરુ સંતોના સાંનિધ્યમાં જળઝીલણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. નાઘેર પંથકના બધા ભક્તો આ મહોત્સવમાં ઉપસ્થિત રહી દર્શન-સત્સંગ-સમૈયાનો લાભ પ્રાપ્ત કરે છે.
ગુરુકુલ પરિસરમાં ઠાકોરજીની શોભાયાત્રા બાદ નદી કિનારે, નદીનું પૂજન તથા ઠાકોરજીનું વિશેષ પૂજન-અભિષેક કરવામાં આવ્યો હતો. ઠાકોરજીને નદીના જળમાં વિહાર સાથે ચાર આરતીઓ ઉતારવામાં આવી હતી.
એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વરના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ વિવિધ રાસ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમોથી ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા.
આફ્રિકાદેશમાં સત્સંગ વિચરણ કરી રહેલા પૂજ્ય સ્વામીજીએ ઓડિયો-વિડિયો માધ્યમથી ઉત્સવનો મહિમા સમજાવી પ્રકૃતિના સંરક્ષણ ભલામણ કરી હતી. આ પ્રસંગે સંતોએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. મહોત્સવના અંતે ઉપસ્થિત ૧૨૦૦ ઉપરાંત ભક્તોએ ભોજનપ્રસાદ લીધો હતો.



