SGVP ગુરુકુલ અમદાવાદ દ્વારા ૧૧,૦૦૦ જોડી ચપ્પલ વિતરણ
પંદર વર્ષથી અવિરત કરુણાની અદ્ભુત પરંપરા
આકરા ઉનાળામાં જમીન પર પગ મૂકતા દાજી જવાય એવી તીવ્ર ગરમીના સમયમાં, SGVP ગુરુકુલ અમદાવાદ, મેમનગર દ્વારા માનવતાના શીતળ સ્પર્શરૂપે દર વર્ષે જરૂરિયાતમંદો માટે ચપ્પલ વિતરણનું પાવન સેવા કાર્ય યોજાય છે.
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની અનુકંપા અને પ્રેરણા તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે તારીખ ૪ મે, ૨૦૨૫ના રોજ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૧,૦૦૦ થી વધુ જોડી ચંપલ જરૂરીયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આશરે ૨૨૫ સ્વયંસેવકોની ટીમે અમદાવાદના રસ્તા, ગલીઓ અને ખૂણાઓ સુધી પહોંચી, પગરખાં વગરના દરિદ્રનારાયણના પગમાં ભાવપૂર્વક ચંપલ પહેરાવ્યા હતા.
છેલ્લા ૧૫ વર્ષથી SGVP ગુરુકુલ દ્વારા અવિરતપણે ચાલતી આ સેવા પ્રવૃત્તિ માત્ર પગરખાંનું વિતરણ નથી, માનવતા અને કરુણાની જીવંત અભિવ્યક્તિ સમાન આ પરંપરા સમાજમાં સેવાનું જીવંત પ્રતિક બની છે.



