સવાન્નાહ ખાતે ભારતીય પરંપરાના વિવિધ ઉત્સવોની ઉજવણી
SGVP અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની અધ્યક્ષતામાં સવાન્નાહ, જ્યોર્જિયા ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં હિંદુ ધર્મના તમામ ઉત્સવો ભક્તિભાવથી ઉજવવામાં આવે છે.
આ સનાતન મંદિરમાં સર્વે દેવી દેવતાઓની સાથે ગુરુ ભોજલરામબાપાની સંગાથે સંતવર્ય શ્રી જલારામ બાપાની પણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. કાર્તિક સુદ સપ્તમીનો દિવસ એટલે વીરપુરમાં પ્રગટેલા મહાન સંતવર્ય શ્રી જલારામબાપાનો જન્મ દિવસ. આ મંગલમય દિને સનાતન મંદિરમાં શ્રી જલારામબાપાનું પંચોપચાર પૂજન કરી આરતી કરવામાં આવી.
જલારામ જયંતીના દિને અમેરીકામાં જલારામબાપાનું પૂજન તથા ગુણાનુવાદ પ્રસંગે જ્યોર્જિયા સ્ટેટના વિવિધ વિસ્તારમાંથી પધારેલા ભક્તજનોએ ભજન કીર્તન કર્યા હતા. બાપાના પૂજન પહેલા સેવા, ભજન અને સદાવ્રતથી સંતત્ત્વને દીપાવનારા શ્રીજલારામ બાપા તથા સદ્ગુરુ શ્રી ભોજલરામબાપાના ગુણોનું સ્મરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પધારેલા સર્વે ભક્તજનોને મહાપ્રસાદ જમાડવામાં આવ્યો હતો.
ચાતુર્માસ અને ખાસ કરીને શ્રાવણ માસના દર સોમવારે સવાન્નાહમાં પ્રતિષ્ઠિત ૧૨ જ્યોતિર્લિંગ નો અભિષેક અને વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ભક્તોએ ભક્તિભાવથી લાભ લીધો હતો.
દીપાવલીના દિવસો દરમ્યાન યજ્ઞ, ચોપડા પૂજન, અન્નકૂટ દર્શન, નવા વર્ષના શુભેચ્છા મિલન વગેરે અનેકવિધ આયોજનોમાં પણ ભક્તોજનોએ શ્રદ્ધા, ઉત્સાહ અને ભાવપૂર્વક લાભ લીધો હતો.
દેવદિવાળીના પ્રસંગે આયોજિત તુલસી વિવાહના શુભ પ્રસંગે દૂર દૂરથી આવેલા ભક્તોએ પણ આનંદ, ઉત્સાહથી આ માંગલિક ઉત્સવનો ભક્તિભાવથી લાભ લીધો હતો.
પૂજ્ય સ્વામીજીએ પણ પ્રસંગોપાત ઓડીઓ-વિઝયુઅલ માધ્યમથી ભક્તજનોને ઉત્સવોનું મહત્ત્વ સમજાવી આશીર્વાદ પાઠવ્યા હતા.
સંતો સાથે સેવાભાવી સ્વયંસેવકોએ તમામ ઉત્સવોની ઉજવણીમાં ભારે જહેમત લઈને સરસ આયોજનો અને પ્રસાદની વ્યવસ્થા કરીને પ્રસંગોને દિપાવ્યા હતા.



